Back to Languages

    Gujarati - Chapter 18

    Translation by Rabila Al Omari

    Verse 1

    દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે પોતાના બંદા પર આ કુરઆન અવતરિત કર્યું અને તેમાં કોઈ કમી બાકી ન રાખી

    Verse 2

    પરંતુ દરેક રીતે ઠીકઠાક રાખ્યું, જેથી પોતાની પાસેની સખત યાતનાથી સચેત કરી દે. અને ઇમાનવાળા અને સત્કાર્ય કરનારાઓને ખુશખબર આપી દે, કે તેમના માટે શ્રેષ્ઠ વળતર છે

    Verse 3

    જેમાં તેઓ હંમેશા રહેશે

    Verse 4

    અને તે લોકોને પણ સચેત કરી દો જેઓ કહે છે કે અલ્લાહ તઆલાને સંતાન છે

    Verse 5

    ખરેખર તો તે લોકો પણ જાણતા નથી, ન તેમના પૂર્વજો પણ જાણતા હતા, આ આરોપ ખૂબ જ ખોટો છે જે તેમના મોઢા માંથી નીકળી રહ્યો છે, તેઓ સ્પષ્ટ જૂઠ કહી રહ્યા છે

    Verse 6

    બસ ! જો આ લોકો આ વાત પર ઇમાન ન લાવે, તો શું તમે તેમની પાછળ તે જ નિરાશામાં પોતાને નષ્ટ કરી દેશો

    Verse 7

    ધરતી પર જે કંઈ પણ છે અમે તેને ધરતીના શણગારનું કારણ બનાવ્યું છે, કે અમે તે લોકોની કસોટી કરીએ કે તેમાંથી કોણ સત્કાર્ય કરનાર છે

    Verse 8

    તેના (ધરતી) પર જે કંઈ પણ છે અમે તેને એક સપાટ મેદાન કરી દેવાના છે

    Verse 9

    શું તમે પોતાના વિચાર પ્રમાણે ગુફા અને વસ્તીવાળાને અમારી નિશાનીઓ માંથી ઘણી અદ્દભુત નિશાની સમજી રહ્યા છો

    Verse 10

    તે થોડાંક નવયુવાનોએ જ્યારે ગુફામાં શરણ લીધું, તો દુઆ કરી કે હે અમારા પાલનહાર ! અમને તારી પાસેથી કૃપા આપ અને અમારા કાર્ય માટે અમારા માર્ગને સરળ બનાવી દે

    Verse 11

    બસ ! અમે ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં તેમના કાન પર પરદા નાંખી દીધા

    Verse 12

    પછી અમે તે લોકોને ઊભા કર્યા કે અમે એ જાણી લઇએ કે બન્ને જૂથ માંથી તે ઘણાં વર્ષ, જે તે લોકોએ પસાર કર્યા, કોને વધારે યાદ છે

    Verse 13

    અમે તે લોકોનો સાચો કિસ્સો તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે એ કે થોડાંક નવયુવાન પોતાના પાલનહાર ઉપર ઇમાન લાવ્યા હતા અને અમે તેમના સત્ય માર્ગદર્શનમાં વધારો કર્યો હતો

    Verse 14

    અમે તેમના હૃદયોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે અમારા પાલનહાર ! તું તે જ છે, જે આકાશો અને ધરતીનો પાલનહાર છે, અશક્ય છે અમે તેને છોડીને બીજા પૂજ્યોને પોકારીએ, જો આવું કર્યું તો અમે અત્યંત ખોટી વાત કરનારા છે

    Verse 15

    આ છે અમારી કોમ, જેમણે તે (અલ્લાહ)ને છોડીને બીજા પૂજ્યો બનાવી રાખ્યા છે, આ લોકો તેમના પૂજ્ય હોવાની સ્પષ્ટ દલીલ કેમ લાવતા નથી ? અલ્લાહ પર આરોપ મૂકનાર કરતા વધારે અત્યાચારી કોણ છે

    Verse 16

    જ્યારે તમે તે લોકોથી અને તેમના પૂજ્યોથી અળગા થઇ ગયા તો હવે તમે કોઈ ગુફામાં જતા રહો, તમારો પાલનહાર તમારા પર પોતાની કૃપા કરશે અને તમારા માટે તમારા કામને સરળ બનાવશે

    Verse 17

    તમે જોશો કે સૂર્ય, સૂર્યોદયના સમયે તેમની ગુફાની જમણી તરફ ઝૂકી જાય છે, અને સૂર્યાસ્તના સમયે ગુફાની ડાબી બાજુથી હટી જાય છે અને તે લોકો ગુફાની પહોળી જગ્યાએ હતા, આ અલ્લાહની નિશાનીઓ માંથી છે, અલ્લાહ તઆલા જેને માર્ગદર્શન આપે તે સત્યમાર્ગ પર છે અને જેને તે પથભ્રષ્ટ કરી દે અશક્ય છે કે તમે તેના માટે કોઈ મદદ કરનાર અથવા તેને માર્ગદર્શન આપવાવાળો જોશો

    Verse 18

    તમે એવું વિચારતા હતા કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતેલા હતા, અમે પોતે તેઓને ડાબી, જમણી બાજુ પડખું આપતા હતા, તેમનું કૂતરું પણ કિનારા પર હાથ ફેલાવી બેસેલું હતું, જો તમે તેમને ડોકિયું કરી જોવા ઇચ્છતા તો જરૂર પાછા ફરીને ભાગી જતા અને તેમના ભયથી તમારા પર ડર છવાઇ જતો

    Verse 19

    આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક કહેવાવાળાએ કહ્યું, કે કેમ ભાઇ તમે કેટલો સમય રોકાયા ? તેમણે જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછો સમય. કહેવા લાગ્યા કે તમારા રોકાઇ રહેવાનું જ્ઞાન તો ફક્ત અલ્લાહને જ છે, હવે તો તમે પોતાના માંથી કોઈને પોતાની આ ચાંદી આપી શહેરમાં મોકલો, તે સમજી લેશે કે શહેરનો કેવો ખોરાક પવિત્ર છે, પછી તેમાંથી જ તમારા માટે ખોરાક લઇને આવે અને તે ખૂબ જ ધ્યાન રાખી અને નમ્રતા દાખવે અને કોઈને પણ તમારી જાણ ન થવા દે

    Verse 20

    જો આ ઇન્કાર કરનારા તમારા પર પ્રભુત્વ મેળવી લે તો તમને પથ્થરો મારી મારીને નષ્ટ કરી દેશે, અથવા તમને પાછા પોતાના દીનમાં ફેરવી નાંખશે અને પછી તમે કયારેય સફળ નહીં થઇ શકો

    Verse 21

    અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ પોતાના કાર્યમાં વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું

    Verse 22

    થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, કેટલાક કહેશે કે પાંચ હતા અને છઠ્ઠું તેમનું કૂતરું હતું, અદૃશ્યની વાતોને આવી જ રીતે કહે છે, થોડાંક લોકો કહેશે કે તે સાત હતા અને આઠમું તેમનું કૂતરું હતું, તમે કહી દો કે મારો પાલનહાર તેમની સંખ્યાને ખૂબ સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે. બસ ! તમે તેમના વિશે ફકત ઉપરછલ્લી વાતો કરો અને તેમના માંથી કોઈને તેમના (કહફવાળા) વિશે ન પૂછો

    Verse 23

    અને ક્યારેય કોઈ કાર્ય વિશે એવું ન કહેશો કે હું તેને આવતીકાલે કરીશ

    Verse 24

    પરંતુ સાથે સાથે “ઇન્ શાઅ અલ્લાહ” કહી દેજો અને જ્યારે પણ ભૂલી જાવ, પોતાના પાલનહારને યાદ કરી લેજો અને કહેતા રહેજો કે મને આશા છે કે મારો પાલનહાર મને આના કરતા પણ વધારે સત્યમાર્ગનું માર્ગદર્શન આપશે

    Verse 25

    તે લોકો ગુફામાં ત્રણસો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ વધારે

    Verse 26

    તમે કહી દો કે અલ્લાહ જ તેમના રોકાઇ રહેવાના સમયગાળાને સારી રીતે જાણે છે. આકાશો અને ધરતીનું અદૃશ્યનુ જ્ઞાન ફકત તેને જ છે. તે ખૂબ જ જોનાર, સાંભળનાર છે, અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી, અલ્લાહ તઆલા પોતાના આદેશમાં કોઈને ભાગીદાર નથી બનાવતો

    Verse 27

    તમારી તરફ તમારા પાલનહાર તરફથી જે કિતાબ વહી દ્વારા અવતરિત કરવામાં આવી છે તેને પઢતા રહો, તેની વાતોને કોઈ બદલી શકતું નથી, તમે તેના સિવાય કોઈનું પણ શરણ નહીં પામો

    Verse 28

    અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે છે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે, ખબરદાર ! તમારી નજર તે લોકોથી હઠવી ન જોઇએ કે દુનિયાના જીવનના ઠાઠ-માઠ માં લાગી જાઓ, જુઓ તેનું કહ્યું ન માનશો, જેને મેં મારા નામના સ્મરણથી દૂર રાખ્યો છે અને જે પોતાની મનેચ્છાઓની પાછળ પડ્યો છે અને જેનું કાર્ય હદ વટાવી ગયું છે

    Verse 29

    અને જાણ કરી દો કે આ કુરઆન ખરેખર તમારા પાલનહાર તરફથી છે, હવે જે ઇચ્છે ઇમાન લાવે અને જે ઇચ્છે ઇન્કાર કરે, અત્યાચારીઓ માટે અમે તે આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ ફરિયાદ કરવા ઇચ્છશે તો તેમની ફરિયાદ તે પાણી વડે કરવામાં આવશે જે તેલના છંટકાવ જેવી હશે, જે ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ પાણી અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે

    Verse 30

    નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્ય કરશે તો અમે કોઈ સદાચારીના કર્મના વળતરને વ્યર્થ નથી કરતા

    Verse 31

    તેમના માટે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો છે, તેમની નીચેથી નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાની બંગડીઓ પહેરાવવામાં આવશે અને લીલા રંગના મુલાયમ અને પાતળાં અને જાડાં રેશમી પોશાક પહેરશે, ત્યાં આસનો પર તકિયા લગાવેલા હશે, કેટલું સુંદર વળતર છે અને આરામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે

    Verse 32

    અને તેમને તે બન્ને વ્યક્તિઓનું ઉદાહરણ પણ આપી દો, જેમાંથી એકને અમે બે દ્રાક્ષના બગીચાઓ આપ્યા હતા અને જેમને અમે ખજૂરોના વૃક્ષો વડે ઘેરી રાખ્યા હતા અને બન્ને વચ્ચે ખેતી ઉપજાવી રાખી હતી

    Verse 33

    બન્ને બગીચા ખૂબ જ ઊપજ્યા અને તેમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી અને અમે તે બગીચાઓ વચ્ચે નહેર વહાવી રાખી હતી

    Verse 34

    તેમની પાસે ફળો હતા, એક દિવસે તેણે વાત-વાતમાં જ પોતાના મિત્રને કહ્યું કે હું તારા કરતા વધારે ધનવાન છું અને (ધનના) ઢગલા પણ ખૂબ જ છે

    Verse 35

    અને તે પોતાના બગીચામાં ગયો અને પોતાના ઉપર અત્યાચાર કરનાર હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે ગમે ત્યારે આ નષ્ટ થઇ શકે છે

    Verse 36

    અને હું કયામતના દિવસની કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો ખરેખર હું (તે પાછા ફરવાની જગ્યા) કરતા પણ વધારે ઉત્તમ મેળવીશ

    Verse 37

    તેના મિત્રએ તેની સાથે વાતચીત કરતા કહ્યું કે શું તું તે (પૂજ્ય) નો ઇન્કાર કરે છે જેણે તારું સર્જન માટી વડે કર્યું, પછી ટીપાથી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો

    Verse 38

    પરંતુ હું તો આસ્થા રાખું છું કે તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર નહીં ઠેરાવું

    Verse 39

    તેં પોતાના બગીચામાં જતી વખતે એવું કેમ ન કહ્યું કે અલ્લાહ જે ઇચ્છે છે તે જ થવાનું છે, અલ્લાહની મદદ વગર કોઈની તાકાત નથી, જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી તુચ્છ સમજી રહ્યો છે

    Verse 40

    શક્ય છે કે મારો પાલનહાર મને તારા તે બગીચા કરતા પણ વધારે સારું આપે અને તેના પર આકાશ માંથી પ્રકોપ મોકલી દે તો આ સપાટ મેદાન થઇ જશે

    Verse 41

    અથવા તેનું પાણી નીચે ઉતરી જાય અને તારા વશમાં પણ ન રહે કે તું તેને શોધી કાઢે

    Verse 42

    અને તેના (બધા) ફળો ઘેરાવમાં લઇ લીધા, બસ ! પોતાના તે ખર્ચ માં જે તેણે તે (બગીચા માટે) કર્યો હતો, પોતાના હાથ ઘસવા લાગ્યો અને તે બગીચો તો નષ્ટ થઇ ગયો હતો અને (તે વ્યક્તિ) આવું કહી રહ્યો હતો કે, કાશ ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો

    Verse 43

    તેની મદદ કરવા માટે કોઈ જૂથ ન આવ્યું જે તેને અલ્લાહથી બચાવી લે અને ન તો તે પોતે બદલો લેવામાં સક્ષમ થઇ શક્યો

    Verse 44

    અહીંયાથી જ (સાબિત થાય છે) કે અધિકાર ફકત સત્ય અલ્લાહનો જ છે, તે વળતર આપવા માટે અને પરિણામ માટે ઘણો જ શ્રેષ્ઠ છે

    Verse 45

    તેમની સમક્ષ દુનિયાના જીવનનું ઉદાહરણ વર્ણવો, જેવું કે પાણી-જેને અમે આકાશ માંથી વરસાવીએ છીએ તેનાથી ધરતીની ઊપજો મળે છે, પછી છેવટે તે ભૂસું થઇ જાય છે, જેને હવા ઉડાવે છે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે

    Verse 46

    ધન અને સંતાન તો દુનિયાનો શણગાર છે અને બાકી રહેવાવાળા સત્કાર્યો, તારા પાલનહારની નજીક બદલા અને સારી આશા માટે ઉત્તમ છે

    Verse 47

    અને જે દિવસે અમે પર્વતોને ચલાવીશું અને ધરતીને તમે સપાટ, ખુલ્લી જોશો અને દરેક લોકોને એકઠાં કરીશું, તે લોકો માંથી એકને પણ બાકી નહીં છોડીએ

    Verse 48

    અને દરેક લોકો તમારા પાલનહાર સમક્ષ લાઇનબંધ હાજર કરવામાં આવશે, નિ:શંક તમે અમારી પાસે એવી જ રીતે આવ્યા જેવી રીતે અમે તમારું પ્રથમ વખત સર્જન કર્યું હતું. પરંતુ તમે તો તે કલ્પના માંજ રહ્યા કે અમે ક્યારેય તમારા માટે કોઈ વચનનો સમય નક્કી નહીં કરીએ

    Verse 49

    અને કર્મનોંધ સામે મૂકી દેવામાં આવશે, બસ ! તમે જોશો કે પાપીઓ તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય ! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે ? જેણે કોઈ નાના, મોટાં (દરેક પાપ) ઘેરાવમાં લીધા વગર છોડ્યા જ નથી અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર અત્યાચાર નહીં કરે

    Verse 50

    અને જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમ (અ.સ.)ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ સિજદો કર્યો, આ જિન્નાતો માંથી હતો, તેણે પોતાના પાલનહારનું કહ્યું ન માન્યું, શું તો પણ તમે મને છોડીને તેને અને તેના સંતાનને પોતાનો મિત્ર બનાવી રહ્યા છો ? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા અત્યાચારીઓ માટે કેવી ખરાબી હશે

    Verse 51

    મેં તે લોકોને આકાશો અને ધરતીના સર્જન વખતે હાજર નહતા રાખ્યા અને ન તો તેમના પોતાના સર્જન વખતે અને હું પથભ્રષ્ટ કરવાવાળાઓને પોતાનો મદદગાર બનાવનાર નથી

    Verse 52

    અને જે દિવસે તે કહેશે કે તમારા વિચાર પ્રમાણે જે મારા ભાગીદારો હતા તેમને પોકારો, તેઓ પોકારશે, પરંતુ તેમના માંથી કોઈ જવાબ નહીં આપે, અમે તેમની વચ્ચે નષ્ટ કરી દેનારો સામાન ઉતારીશું

    Verse 53

    અને પાપીઓ જહન્નમને જોઇને સમજી લેશે કે તેમને તેમાં જ નાંખવામાં આવશે, પરંતુ તેનાથી બચવા માટે કોઈ જગ્યા નહીં મળે

    Verse 54

    અમે આ કુરઆનમાં દરેક રીતે સંપૂર્ણ ઉદાહરણો, લોકો માટે જણાવ્યા છે, પરંતુ માનવી સૌથી વધારે ઝઘડો કરનાર છે

    Verse 55

    લોકો પાસે સત્ય માર્ગદર્શન આવી ગયા પછી તેમને ઇમાન લાવવા અને પોતાના પાલનહાર સામે માફી માંગવામાં ફકત તે જ વસ્તુએ રોક્યા કે આગળના લોકો સાથે જેવું થયું તેવું અમારી સાથે થાય, અથવા તેમની સમક્ષ ખુલ્લો પ્રકોપ આવી જાય

    Verse 56

    અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ અવતરિત કરીએ છીએ કે તે ખુશખબર આપી દે અને સચેત કરી દે. ઇન્કાર કરનારાઓ અસત્યના આધારે ઝઘડે છે અને ( ઇચ્છે છે કે) તેનાથી સત્યને હરાવી દે. તે લોકોએ મારી આયતોને અને જે વસ્તુ વડે ડરાવવામાં આવે તેને મજાક બનાવી લીધી

    Verse 57

    તેના કરતા વધારે અત્યાચારી બીજો કોણ છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે, તો પણ મોઢું ફેરવી લે અને જે કંઈ તેના હાથ વડે કરેલા કર્મોને આગળ મોકલી રાખ્યા છે તેને તે ભૂલી જાય, નિ:શંક અમે તેમના હૃદયો પર પરદા નાખી દીધા છે કે તે તેને (ન) સમજે અને તેમના કાનમાં આડ છે, ભલેને તમે તે લોકોને સત્ય માર્ગ તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ ક્યારેય સત્ય માર્ગ નહીં પામે

    Verse 58

    તમારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને કૃપા કરનાર છે, તે જો તેમના કર્મોના બદલામાં પકડ કરે તો ખરેખર તે લોકો પર ઝડપથી જ યાતના આવી પહોંચે, પરંતુ તેમના માટે એક વચનનો સમય નક્કી છે, જેનાથી તેઓ બચવા માટેની કોઈ જગ્યા નહીં પામે

    Verse 59

    આ છે તે વસ્તીઓ, જેમને અમે તેમના અત્યાચારના કારણે નષ્ટ કરી દીધા અને અમે તેમને નષ્ટ કરવાનો એક સમય નક્કી કરી રાખ્યો હતો

    Verse 60

    જ્યારે કે મૂસા અ.સ.એ પોતાના નવયુવાનને કહ્યું કે હું તો ચાલતો જ રહીશ ત્યાં સુધી કે બે દરિયાના મેળાપ પર પહોંચું, ભલેને મને વર્ષોના વર્ષ સુધી ચાલવું પડે

    Verse 61

    જ્યારે તે બન્ને દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા, ત્યાં પોતાની માછલી ભૂલી ગયા, જેણે દરિયામાં સુરંગ જેવો પોતાનો માર્ગ બનાવી દીધો

    Verse 62

    જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસા (અ.સ.)એ પોતાના નવયુવાનને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી

    Verse 63

    તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું ? જ્યારે આપણે પથ્થરના ટેકે આરામ કરી રહ્યા હતા, ત્યાં જ હું માછલી ભૂલી ગયો હતો, ખરેખર શેતાને જ મને ભૂલાવી દીધું કે હું તમારી સમક્ષ તેની વાત કરું, તે માછલીએ અલગ રીતે દરિયામાં પોતાનો રસ્તો બનાવ્યો

    Verse 64

    મૂસા (અ.સ.)એ કહ્યું આ જ હતું, જેની શોધમાં આપણે હતા, તો ત્યાંથી જ પોતાના પગલાના નિશાન શોધતા પાછા ફર્યા

    Verse 65

    બસ ! અમારા બંદાઓ માંથી એક બંદાને મળ્યા, જેને અમે પોતાની પાસેની ખાસ કૃપા આપી હતી અને તેને પોતાની પાસેથી ખાસ જ્ઞાન શીખવાડ્યું હતું

    Verse 66

    તેને મૂસા (અ.સ.)એ કહ્યું કે હું તમારું અનુસરણ કરું ? કે તમે મને તે જ્ઞાન શિખવાડી દો જે તમને શિખવાડવામાં આવ્યું છે

    Verse 67

    તેમણે કહ્યું કે તમે મારી સાથે ક્યારેય ધીરજ નહીં રાખી શકો

    Verse 68

    અને જે વસ્તુને તમે પોતાના જ્ઞાનથી વિચારી લીધું હોય તેના પર ધીરજ કેવી રીતે રાખી શકો છો

    Verse 69

    મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે ઇન્ શાઅ અલ્લાહ તમે મને ધીરજ રાખનારો પામશો. અને કોઈ વાતમાં હું તમારી અવજ્ઞા નહીં કરું

    Verse 70

    તેણે કહ્યું કે સારું, જો તમે મારી સાથે આવવા માટે આગ્રહ કરો છો તો યાદ રાખજો, કોઈ વસ્તુ બાબતે મને કંઈ પણ ન પૂછશો. ત્યાં સુધી કે હું પોતે તે બાબતે કોઈ વાત ન કરું

    Verse 71

    પછી તે બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક હોડીમાં સવાર થયા, તો તેણે હોડીના લાકડાની બાજુઓ તોડી નાખી, મૂસા (અ.સ.)એ કહ્યું કે શું તમે તેને તોડી રહ્યા છો, જેથી હોડીવાળાઓને ડુબાડી દો, આ તો તમે ખૂબ જ મોટી વાત કરી દીધી

    Verse 72

    તેણે જવાબ આપ્યો કે મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે તમે મારી સાથે ક્યારેય ધીરજ નહીં રાખી શકો

    Verse 73

    મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે મારી ભૂલ પર મારી પકડ ન કરશો અને મારી સાથે સખતી ન કરશો

    Verse 74

    પછી બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક બાળકને જોયો, તેણે તેને મારી નાંખ્યો, મૂસા (અ.સ.)એ કહ્યું કે શું તમે એક પવિત્ર પ્રાણને વગર કારણે મારી નાંખ્યો ? નિ:શંક તમે તો ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું

    Verse 75

    તે કહેવા લાગ્યા કે મેં તમને નહતું કહ્યું કે તમે મારી સાથે રહી ક્યારેય ધીરજ નહીં રાખી શકો

    Verse 76

    મૂસા (અ.સ.) એ જવાબ આપ્યો જો હવે પછી હું તમને કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછું તો ખરેખર તમે મને પોતાની સાથે ન રાખશો. ખરેખર તમારી પાસે મજબૂત કારણ છે

    Verse 77

    પછી બન્ને ચાલ્યા, એક ગામડામાં લોકોની પાસે ખાવાનું માંગ્યું, તો તે લોકોએ તેમનો સત્કાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, બન્નેએ ત્યાં એક દીવાલ જોઇ, જે પડવાની જ હતી, તેણે તે દીવાલને ઠીકઠાક કરી દીધી, મૂસા (અ.સ.) કહેવા લાગ્યા, જો તમે ઇચ્છતા તો આનું વળતર લઇ લેતા

    Verse 78

    તેણે કહ્યું, બસ! આ મારી અને તારી વચ્ચે અલગ થવાનું કારણ છે, હવે હું તમને તે વાતોની સચ્ચાઇ પણ જણાવી દઇશ જેના પર તમે ધીરજ ના રાખી

    Verse 79

    હોડી તો થોડાંક લાચારોની હતી, જે દરિયામાં કામ કરતા હતાં, મેં તે હોડીને થોડીક તોડી નાખવાનો ઇરાદો કર્યો, કારણકે તેમની આગળ એક બાદશાહ હતો, જે દરેક હોડીને બળજબરી કરી છીનવી લેતો હતો

    Verse 80

    અને તે બાળકના માતા-પિતા ઈમાનવાળા હતાં, મને ભય લાગ્યો કે કદાચ આ તેમને પોતાના અતિરેક અને ઇન્કારના કારણે લાચાર અને પરેશાન ન બનાવી દે

    Verse 81

    એટલા માટે મેં ઇચ્છા કરી કે તેમને તેમનો પાલનહાર તેના બદલામાં તેના કરતા શ્રેષ્ઠ, પવિત્ર અને તેના કરતા વધારે મોહબ્બત કરનાર બાળક આપે

    Verse 82

    દીવાલની વાત એવી છે, કે આ શહેરમાં બે અનાથ બાળકો છે, જેમનો ખજાનો તેમની તે દીવાલ નીચે દાટેલો છે, તેમના પિતા ખૂબ જ સદાચારી હતાં, તો તમારા પાલનહારની ઇચ્છા હતી કે આ બન્ને અનાથ યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા પાલનહારની કૃપા અને રહમતની સાથે કાઢી લે. મેં મારી ઇચ્છાથી કોઈ કાર્ય નથી કર્યું, આ હતી સત્ય વાત તે કિસ્સાઓની જેના પર તમે ધીરજ ન રાખી

    Verse 83

    આ લોકો તમને “ઝૂલ્-કરનૈન” નો કિસ્સો પૂછે છે, તમે કહી દો કે હું તે લોકોની થોડીક દશા તમને વાંચી સંભળાવું છું

    Verse 84

    અમે તેને ધરતી પર શક્તિશાળી બનાવ્યા હતાં અને તેને દરેક વસ્તુનો સામાન પણ આપી દીધો હતો

    Verse 85

    તે એક માર્ગ પાછળ લાગ્યો

    Verse 86

    ત્યાં સુધી કે સૂર્યાસ્ત થવાની જગ્યાએ પહોંચી ગયો અને તેને એક ઝરણાંના વમળમાં ડૂબતો જોયો, અને તે ઝરણાં પાસે એક કોમને પણ જોઇ, અમે કહી દીધું કે, હે “ઝુલ્-કરનૈન ! તું તેમને તકલીફ આપ અથવા તેમની સાથે ઉત્તમ વ્યવહાર કર

    Verse 87

    તેણે કહ્યું કે જે અત્યાચાર કરશે તેને તો અમે પણ સજા આપીશું, પછી તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરાવવામાં આવશે અને તે તેને સખત યાતના આપશે

    Verse 88

    હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેના માટે તો બદલામાં ભલાઇ છે અને અમે તેને પોતાના કાર્યમાં પણ સરળતાનો જ આદેશ આપીશું

    Verse 89

    પછી તે બીજા માર્ગ પાછળ લાગ્યો

    Verse 90

    ત્યાં સુધી કે જ્યારે સૂર્યોદયની જગ્યાએ પહોંચ્યો તો તેને એક એવી કોમ માંથી નીકળતો જોયો જેઓ (ન તો ઘર હતાં અને ન વસ્ત્રો હતાં, પરંતુ તેઓ ખુલ્લી નગ્ન અવસ્થામાં રહેતા હતાં) ખુલ્લા હતાં

    Verse 91

    વાત આવી જ છે અને અમે તેની પાસેની બધીજ જાણકારી સંભાળી રાખી છે

    Verse 92

    તે પાછો મુસાફરી કરવા લાગ્યો

    Verse 93

    ત્યાં સુધી કે જ્યારે તે બે દિવાલોની વચ્ચે પહોંચ્યો, તે દીવાલની ઉપર તેણે એક એવી કોમ જોઇ, જે કોઈ પણ વાત નહતાં સમજતા

    Verse 94

    તેમણે કહ્યું, હે ઝુલ્-કરનૈન ! આ “આજૂજ માજૂજ” આ શહેરમાં વિદ્રોહી છે. તો શું અમે તમારા માટે કંઇ ખર્ચનો બંદોબસ્ત કરી દઇએ, (તે શરતે કે) તમે અમારી અને તેમની વચ્ચે એક દીવાલ બનાવી આપો

    Verse 95

    તેણે જવાબ આપ્યો કે મારા અધિકારમાં મને મારા પાલનહારે જે કંઇ આપી રાખ્યું છે તે જ ઉત્તમ છે, તમે ફક્ત તાકાતથી મારી મદદ કરો

    Verse 96

    હું તમારી અને તેમની વચ્ચે મજબૂત ઢાલ બનાવી દઉં છું, મને લોખંડની ચાદરો લાવી આપો, ત્યાં સુધી કે જ્યારે તે બન્ને પર્વતો વચ્ચે દીવાલ બરાબર બનાવી દીધી તો આદેશ આપ્યો કે આગ ભડકાવો, જ્યારે તે લોખંડની ચાદરોને તદ્દન આગમાં ફેરવી દીધી, તો કહ્યું કે મારી પાસે લાવો, તેના પર પીગાળેલું તાંબુ નાંખી દો

    Verse 97

    બસ ! ન તો તેમનામાં તે દીવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ કાણું પાડી શકતા હતાં

    Verse 98

    કહ્યું, આ ફક્ત મારા પાલનહારની કૃપા છે, હાં જ્યારે મારા પાલનહારનું વચન આવી જશે તો તેને ધરતીમાં ધસાવી દેશે, નિ:શંક મારા પાલનહારનું વચન સાચું છે

    Verse 99

    તે દિવસે અમે તે લોકોને અંદરોઅંદર ટોળા બનાવી છોડી દઇશું અને સૂર ફૂંકવામાં આવશે, બસ ! સૌને એકઠા કરીને અમે ભેગા કરી દઇશું

    Verse 100

    તે દિવસે અમે જહન્નમને ઇન્કાર કરનારાઓના સામે લાવી દઇશું

    Verse 101

    જેમની આંખો મારા સ્મરણથી અળગી હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં

    Verse 102

    શું ઇન્કાર કરનાર એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે ? (સાંભળો) અમે તે ઇન્કાર કરનારાઓની મહેમાનગતિ કરવા માટે જહન્નમ તૈયાર કરી રાખી છે

    Verse 103

    કહી દો, કે જો હું તમને જણાવી દઉં કે કાર્યોની દૃષ્ટિએ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર કોણ છે

    Verse 104

    તે એ છે, કે જેમના દુનિયાના જીવનના દરેક પ્રયત્નો વ્યર્થ થઇ ગયા. અને તેઓ તે જ વિચારમાં હતાં કે તેઓ ઘણા જ સારા કાર્યો કરી રહ્યા છે

    Verse 105

    આ જ તે લોકો છે જેમણે પોતાના પાલનહારની આયતો અને તેની મુલાકાતનો ઇન્કાર કર્યો, એટલા માટે તેમના કાર્યો વ્યર્થ થઇ ગયા. બસ ! કયામતના દિવસે અમે તેમના માટે કોઈ વજન નહીં કરીએ

    Verse 106

    વાત એ છે કે તેમનો બદલો જહન્નમ છે, કારણ કે તે લોકોએ ઇન્કાર કર્યો અને મારી આયતો અને મારા પયગંબરોની મશ્કરી કરી

    Verse 107

    જે લોકો ઈમાન લાવ્યા અને તે લોકોએ કાર્ય પણ સારા કર્યા ખરેખર તેમના માટે ફિરદૌસના બગીચાઓની મહેમાનગીરી છે

    Verse 108

    જ્યાં તેઓ હંમેશા રહેશે, જે જગ્યાને બદલવાની ઇચ્છા તેઓ નહીં કરે

    Verse 109

    કહી દો કે જો મારા પાલનહારની વાતોને લખવા માટે સમુદ્રો (નું પાણી) શાહી બની જાય તો તે પણ મારા પાલનહારની વાતો પૂરી થતાં પહેલા જ ખતમ થઇ જશે, અને તેના જેવો જ બીજો પણ તેની મદદ કરવા માટે લઇ આવીએ

    Verse 110

    તમે કહી દો કે હું તમારા જેવો જ એક મનુષ્ય છું, મારી તરફ વહી કરવામાં આવે છે કે સૌનો પૂજ્ય ફક્ત એક જ છે, તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે